વર્ષ 1996 ની વાત છે. મેં જ્ઞાનદીપ કલાસીસ માટે ચિત્રકૂટ એપાર્ટમેન્ટની જગ્યા રાખી. પરંતુ, મારા પરમ આદરણીય પ્રા. એન. જે. શાહ સાહેબ સાથે સ્કૂલ બાબતે ચર્ચા થતા આ જગ્યા પર સ્કૂલ શરુ કરવાની પ્રેરણા મળી. પાંચ મિત્રોએ ભેગા મળી સ્કૂલ શરૂ કરવાના વિચારને મૂર્તિમંત બનાવવાનો નિર્ણય કર્યો. સ્કૂલ અદ્યતન સુવિધાવાળી સ્કૂલમાં અભ્યાસ કરી શકે. આવા ઉમદા હેતુથી તા. 2જી એપ્રિલ, 1997 ના રોજ પ્રેસિડન્સી એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ પ્રેસિડન્સી સ્કૂલની શરૂઆત કરી. સ્કૂલ શરૂ કરવા પાછળ બે જ મુખ્ય હેતુ હતા, જેને આજ પર્યંત વળગી રહ્યા છીએ, તેનો આનંદ છે.
પ્રથમ હેતુ ઉપર જણાવ્યા મુજબ હતો. જયારે બીજો હેતુ હતો બાળકોનો સર્વાંગી વિકાસ અને ગુણવત્તાસભર અભ્યાસક્રમ સાથે મૂલ્યલક્ષી શિક્ષણ! બાળક એક સારો નાગરિક અને એક સારો માનવ બનીને અહીંથી સમાજને ભેટ ધરી શકીએ એવા હેતુને આ ૨૪ વર્ષમાં સાર્થકતા મળી હોય તેવી પ્રતિતી થઇ છે. ઘણા વિઘ્નો અને મુશ્કેલીઓમાં પણ અડગ રહ્યા. તેનો આધાર પ્રેસિડન્સીના ચાર સ્તંભો છે.
સમાજશ્રેષ્ઠીઓનો પણ અમને સાથ-સહકાર સાંપડયો. તેથી ફક્ત અભ્યાસ પ્રવૃત્તિ જ નહિ, પરંતુ સામાજિક ઉત્તરદાયિત્ત્વ નિભાવવામાં પણ શાળા અગ્રેસર રહી. શિસ્તના કડક પાલનના આગ્રહી આચાર્યા કુ.દિપીકાબેન શુક્લએ વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ બનાવ્યા. જે પ્રેસિડન્સી સ્કૂલની ઓળખ બની ગઈ છે. શાળા શરુ થઇ ત્યારથી અત્યાર સુધીના બધા જ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ સુરતમાં પદભાર સંભાળ્યો, તેઓશ્રીઓનો સહકાર પણ અભૂતપૂર્વક રીતે મળતો રહ્યો. આ તબક્કે તેમનો હાર્દિક આભાર.
D.E.O. કચેરીના સ્ટાફના દરેક સભ્યોએ પણ હંમેશા ઉષ્માભર્યો સહકાર આપ્યો છે. તેઓને પણ કેવી રીતે ભૂલાય?
અંતમાં એટલું જ કહીશ કે મોર તેના પીંછાથી રૂડો લાગે ચગે અને તેના હકદાર પરિવારના સભ્યો છે. પરંતુ વિશેષત: દિલથી મારી લાગણી પ્રસ્તુત કરતા કહું તો મારી સાથે હંમેશા હકારાત્મક અભિગમ દાખવી, દરેક કાર્યમાં સહકાર આપી મારી સાથે રહેનાર મારા સતત સંગાથી ટ્રસ્ટીવર્ય શ્રી હિતેન્દ્રભાઈ ચૂડાવાળાના ઉમદા સકારાત્મક અને પ્રત્યક્ષ-પરોક્ષ સહકાર બદલ ઉત્તમ કાર્ય સાથી મળ્યાનો પરમ સંતોષ વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પણ આવા સહકારની અપેક્ષા સાથે, પ્રભુ વધુને વધુ ઉત્તમ કાર્યો કરવાની ક્ષમતા આપે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.
આપનો સહ્રદયી પ્રા. એન. એમ. કારીયા